મહારાષ્ટ્ર (Maharashtra) ના શિરડી (Shiradi)માં સાંઈબાબા મંદિર ટ્રસ્ટ (Saibaba Temple Trust)ના શ્રદ્ધાળુઓના પ્રવેશને લઈને ખાસ અપીલ કરવામાં આવી છે. હવેથી શિરડીના સાંઈબાબાના મંદિરના દર્શન સભ્ય રીતે ભારતીય પરંપરા (Indian Culture) અનુસાર કપડા (Dress) પહેરી મંદિરમાં આવવાની અપીલ કરવામાં આવી છે.
શિરડી ટ્રસ્ટે (Shirdi Trust)આ પ્રકારના બોર્ડ પણ લગાવ્યા છે. જેમાં શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે, તે પૂજા અને દર્શન કરવા માટે મંદિરમાં આવે તો સભ્ય પહેરવેશ પહેરીને મંદિરમાં આવે.
શિરડી સાઈબાબા મંદિર દેશ-વિદેશમાં વસતા કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. દેશ-વિદેશમાંથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ અહીં આ મંદિરમાં આવતા હોય છે. ટ્રસ્ટનું કહેવુ છે કે, અમુક મહિલાઓ ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિરમાં આવે છે, આ પ્રકારની અનેક ફરિયાદો પણ આવી છે. જે બાદ દર્શનાર્થીઓને અપીલ કરવામાં આવી છે.
કપડાને લઈને આ પ્રકારનો નિર્ણય લીધો હોય તેવું શિરડી સાંઈબબા મંદિર દેશનું પહેલું ધર્મસ્થાન નથી. આ અગાઉ પણ અનેક મંદિરોમાં કપડાને લઈને ખાસ પ્રકારના નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
આ મંદિરોમાં નક્કી કરેલો છે ડ્રેસ કોડ
કર્ણાટકના ગોકર્ણ સ્થિત આવેલા મહાબળેશ્વર મંદિરમાં પણ શ્રદ્ધાળુઓ માટે પારંપરિક વસ્ત્ર પરિધાન ધારણ કરવાના નિયમો છે. અહીં પુરુષો માટે ધોતી અને મહિલાઓ માટે સલવાર સૂટ અને સાડી પહેરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં શર્ટ, પેન્ટ, ટોપી અને કોટ પહેરીને અંદર જવાની મંજૂરી નથી.
ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં મહિલાઓ શ્રદ્ધાળુઓ માટે ડ્રેસ કોડ સાડી છે. પુરૂષો માટે ધોતી છે.આ પરિધાન પહેર્યા બાદ તેમને ગર્ભગૃહમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવે છે. આ નિયમો સામાન્ય લોકોની સાથે સાથે સાધુસંતો માટે પણ એટલા જ લાગૂ પડે છે.
આ ઉપરાંત સબરીમલા મંદિર, રામેશ્વર, કેરલનું પદ્મનાભસ્વામી મંદિર, ગુજરાતનું સોમનાથ મંદિરમાં પણ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવાયેલી છે. કાશી વિશ્વનાથ મંદિરમાં પણ આ પ્રકારની હવે ચર્ચાઓ ચાલી રહી છે.