કોરોનામાં મોત થાય બાદ શું? કેવી રીતે મૃતદેહ રાખવામાં આવે છે, કેટલા પ્રકારની સાવચેતી પછી અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તે સવાલ આપડા સૌ કોઈના મનમાં છે ત્યારે આવો જોઈએ મોત બાદ મૃતદેહ આપવાની પ્રોસેસ શું છે.
કોરોનાગ્રસ્ત મૃતદેહના નિકાલની પ્રક્રિયામાં આરોગ્ય વિભાગની સાવચેતી સાથે સંવેદનશીલતાથી કરવામાં આવે છે. મૃતદેહની અંતિમક્રિયા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ (SOP)ને અનુસરવામાં આવે છે. કોરોનાગ્રસ્ત દર્દી મૃત્યુ પામે ત્યારે તેના શરીર પર અથવા શરીરની અંદર રહેલો વાયરસ અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે છે. તેથી કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમક્રિયા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટીગ પ્રોસેસ (SOP) નિર્ધારીત કરવામાં આવી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની છેલ્લા 9 મહિનાથી અંતિમક્રિયા માટેની નિર્ધારિત પ્રક્રિયા અનુસરવામાં આવે છે.
વોર્ડના તબીબી સ્ટાફ ડેથ સ્લીપ (મૃત્યુ નોંધ) તૈયાર કરે છે અને દર્દીની પ્રાથમિક માહિતી, મૃત્યુનું કારણ, મૃત્યુનો સમય અને તારીખ નોંધવામાં આવે છે. ડેડબોડીને જંતુરહિત કરવા માટે મેડિકલ ઓફિસરને જાણ કરવામાં આવે છે. મેડિકલ ઓફિસર અને કોર્પોરેશન ઓફિસર 24 કલાક ઓન ડ્યુટી હોય છે. આ સ્ટાફ મિત્રની સાથે સેનિટાઇઝેશનના 2 સ્ટાફ મિત્ર પણ મૃતદેહ અને સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરવા સાથે જાય છે.
આ સ્ટાફ મિત્ર વોર્ડમાં પહોંચે ત્યાં સુધીમાં ડેડ બોડી ડિસ્પોઝલ વિસ્તારમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરને મૃતક દર્દીના કેસની વિગત, રજીસ્ટ્રેશન નંબર અને સંપર્કની વિગતો વોટ્સએપથી જાણ કરાય છે. ફરજ પર હાજર મેડિકલ ઓફિસર દ્વારા દર્દીના સગાને આ અંગે તરત જાણ કરે છે.
મૃત્યુ પામેલા દર્દીને જો વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હોય તો શરીર સાથે જોડાયેલ તમામ પ્રકારની ટ્યુબ (નળીઓ) અને પેશાબની નળી દૂર કરવામાં આવે છે, જેથી શરીરના કોઇપણ ભાગમાંથી પ્રવાહીનું લીકેજ થતું અટકાવી શકાય. કેટલીકવાર આ લીકેજ અટકાવવા માટે આ પ્રવાહીને બહાર પણ ખેંચી લેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન એક વ્યક્તિ મૃત શરીરની અવરજવરના સમગ્ર માર્ગને સેનિટાઇઝ કરતો જાય છે. આ સેનિટાઈઝેશન હાઇપોક્લોરાઇટના દ્રાવણથી કરવામાં આવે છે.
મૃત શરીરને તરત જ બોડી બેગ (ઝિપ બોડી બેગ)માં મૂકવામાં આવે છે, જેમાં દર્દીની વિગતો અને ‘COVID-19’ ચિહ્નિત ઓળખ ટેગ લગાડવામાં આવે છે અને આ મૃતદેહને સ્મશાનગૃહ મોકલતા પહેલા શરીરના કોઇપણ ભાગમાંથી પ્રવાહીનું લીકેજ અટકાવવા માટે પૂરતી કાળજી લેવામાં આવે છે.
મૃત દર્દીના સગા-સંબંધીઓને સરકારી દિશાનિર્દેશ પ્રમાણે સંપૂર્ણ સાવચેતી સાથે અંતિમ સંસ્કાર કરતા પહેલાં છેલ્લી વાર મૃતદેહને જોવાની મંજૂરી આપવામાં આવે છે, જેમાં પારદર્શક બેગમાં રહેલા મૃતદેહનો ચહેરો બતાવવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન દર્દીના સગાને કોરોના સંક્રમણથી બચાવવા રક્ષણાત્મક સામગ્રી આપવામાં આવે છે.
કોરોનાગ્રસ્ત મૃતદેહના નિકાલની પ્રક્રિયા અંદાજે એકથી દોઢ કલાકમાં પૂરી થાય છે. આ પ્રક્રિયા અંગે સમજાવતા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.જે. વિ. મોદી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલમાં મૃતદેહના નિકાલ માટે અલગ રૂમ કાર્યરત કરાયા છે.
ઉલ્લેખનીય છે કે ડેડ બોડી ડિસ્પોઝલના સમગ્ર એરિયાને નિયમિતપણે સેનિટાઇઝ કરવામાં આવે છે. વળી, જો મૃતકના સગાને સિવિલ પહોંચવામાં વધુ સમય લાગે એમ હોય તો મૃતદેહને વાતાનુકુલિત રુમમાં સાચવવામાં આવે છે.