વિતેલું વર્ષ ગમે તેવું ગયું… નવું વષે તમને ગમે તેવું જાય… આવી શુભકામનાઓ બદલતા અંગ્રેજી નવા વર્ષે વહેતી થશે. અમદાવાદ, ગુજરાતમાં કોરોના કર્ફ્યૂ ચાલુ હોવાથી તા. 31 ડીસેમ્બરે રાતે ફૂલનાઈટ આઉટના આયોજન કરવામાં આવી રહ્યાં છે. રાત્રી કર્ફ્યૂના કારણે પાર્ટી એનિમલ્સ રાતે 9 વાગ્યા પહેલાં પહોંચી જશે અને સવારે 6 પછી ઘરે જવા નીકળશે. 31 ડીસેમ્બરે ન્યૂ યર પાર્ટીના જાહેર આયોજનો નથી.
પણ, ફાર્મહાઉસો અને અનેક ઘરમાં ગણતરીના લોકો એકઠાં થઈને પ્રાઈવેટ ડાન્સ પાર્ટી અને મસ્તી-મજાક કરવાના આયોજન કરવાનાં છે. દસ મહિના પછી ડી.જે. આર્ટિસ્ટોને 31 ડીસેમ્બરના થોડા બુકીંગ મળતાં આશા જાગી છે. જો કે, લાઈવ ઓરકેસ્ટ્રા સાથે સંકળાયેલાં આર્ટિસ્ટો હજુ નવરાધૂપ છે. એકંદર, આ વર્ષે ન્યૂ યર ઉજવણી ફેમિલી ઈવેન્ટ બની રહેશે.
તા 31 ડીસેમ્બરને ગુરૂવારની રાતે ન્યૂ યરની ઉજવણી કઈ રીતે થશે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. ન્યૂ યર ઉજવણી સાથે સંકળાયેલાં આર્ટિસ્ટ અને ઓરકેસ્ટ્રા એસોસિએશન સાથે સંકળાયેલા સંગીતકાર અને ગાયક કુણાલ વ્યાસ કહે છે કે, કોરોના કર્ફ્યૂના કારણે અમદાવાદના હોટલો અને પાર્ટી પ્લોટોમાં ન્યૂ યર પાર્ટી યોજાવાની નથી.