પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ માટે ચૂંટણી રણનીતિકાર તરીકે કાર્યરત પ્રશાંત કિશોરે ટ્વીટરમાં લખ્યું હતું કે ભાજપ ગમે એટલા ધમપછાડા કરશે તો પણ પશ્વિમ બંગાળમાં ભાજપની બેઠકોની સંખ્યા બે આંકડે પણ નહીં પહોંચે.પ્રશાંત કિશોરે કહ્યું હતું કે ૨૦૦ બેઠકો જીતવાના દાવા સાથે પ્રચાર કરતી ભારતીય જનતા પાર્ટીને બે આંકડા જેટલી પણ બેઠકો મળશે નહીં. ભાજપ ભલે ગમે એટલો પ્રચાર કરે, પરંતુ તેને ડબલ ડિજિટમાં પહોંચવામાં પણ ભારે મુશ્કેલી પડશે. પ્રશાંત કિશોરે ટ્વીટના અંતે લખ્યું હતું કે મારી આ ટ્વિટ સાચવીને રાખજો. જો ભાજપ સત્તામાં આવશે તો હું આ કામ છોડી દઈશ.
પ્રશાંત કિશોરની ટ્વીટ પર કૈલાશ વિજયવર્ગીયનો કટાક્ષ
ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે પ્રશાંત કિશોરની ટ્વિટ પછી ટ્વીટ કરીને કટાક્ષમાં લખ્યું હતું. પશ્વિમ બંગાળમાં તો ભાજપની સુનામી ચાલી રહી છે. એ જોતાં તો લાગે છે કે ભાજપની સરકાર બનશે એ સાથે જ આપણાં દેશે એક ચૂંટણી રણનીતિકાર ગુમાવવા પડશે.
દરમિયાન તૃણમૂલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાનારા શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે ધારાસભ્ય પદેથી તેણે સ્પીકરને રાજીનામુ આપ્યું હતું. સ્પીકરે તેનું રાજીનામું સ્વીકારી લીધું છે. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહની બે દિવસની બંગાળ યાત્રા પછી તુરંત જ મમતા બેનર્જીએ વીરભૂમમાં સભા યોજવાની જાહેરાત કરી છે. મમતા દીદીએ એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સામે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે ભાજપ ચીટિંગબાજ પાર્ટી છે. રાજકારણ માટે ભાજપ કંઈ પણ કરી શકે છે.