નોકરિયાતોને રિટાયરમેન્ટ બાદ પેન્શનની ટેન્શન થવા લાગે છે. રિટાયરમેન્ટ પહેલા સેલરી દ્વારા દર મહિનાનો ખર્ચ નીકળી જાય છે પરંતુ રિટાયરમેન્ટ બાદ ઇનકમનો સોર્સ નથી રહતો. જો તમે પણ રિટાયરમેન્ટ બાદ દર મહિને પેન્શનની વ્યવસ્થા કરવા માગતા હોય તો કોઇ જોખમ ઉઠાવ્યા વિના આ સ્કીમમાં રોકાણ કરો.
સુરક્ષિત રોકાણ માટે તમે તમારા અને તમારા પરિવાર માટે દર મહિને પેન્શનની વ્યવસ્થા કરી શકો છો. રિટાયરમેન્ટ બાદ આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે અમે તમને કેટલીક સ્કીમ વિશે જણાવી રહ્યાં છીએ જેમાં રોકાણ કરીને આ ટેન્શનમાંથી મુક્તિ મેળવી શકો છો.

LIC જીવન અક્ષય
LIC દેશની સૌથી વિશ્વાસપાત્ર વીમા કંપનીઓમાંથી એક છે. સરકાર દ્વારા સંચાલિત આ કંપનીની પોલીસીમાં રોકાણ કરીને તમે સારુ રિટર્ન મેળવી શકો છો. જો તમે દર મહિને પેન્શન મેળવવા માગતા હોય તો LIC ‘જીવન અક્ષય’ પોલીસીમાં રોકાણ કરી શકો છો. આ પોલીસીમાં રોકાણના તરત જ બાદ પેન્શનનો લાભ મળવા લાગે છે. આ પોલીસીમાં લઘુત્તમ વાર્ષિક પેન્શન 12 હજાર રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યુ છે.
એટલે કે લઘુત્તમ એક લાખ રૂપિયાનું સંપૂર્ણ રોકાણ જરૂરી છે જ્યારે મહત્તમની કોઇ મર્યાદા નથી. એટલે કે તમે જેટલુ ઇચ્છો તેટલુ રોકાણ કરશો તો વધુ પેન્શન મળશે. આ સાથે જ કોઇપણ ભારતીય વ્યક્તિ જેની ઉંમર 30થી 85 વર્ષ હોય તેમાં રોકાણ કરી શકે છે. વાર્ષિક, અર્ધવાર્ષિક, ત્રિમાસિક અને માસિક આધારે પેન્શન મેળવી શકે છે.

અટલ પેન્શન યોજના
અટલ પેન્શન યોજના દ્વારા અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે પેન્શનની વ્યવસ્થા કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત રોકાણ કરનારાઓને સરકાર લઘુત્તમ પેન્શનની ગેરેન્ટી આપે છે. 18-40 વર્ષ સુધીનો કોઇપણ ભારતીય નાગરિક આ સ્કીમ સાથે જોડાઇ શકે છે. તેમાં તમને 60 વર્ષની ઉંમરમાં 1 હજાર, 2 હજાર, 3 હજાર, 4 હજાર અને 5 હજાર રૂપિયા સુધીનુ મંથલી પેન્શન મળવાની જોગવાઇ છે.
જો તમે દર મહિને 269 રૂપિયા ભરો તો રિટાયરમેન્ટ બાદ દર મહિને 5 હજાર રૂપિયા પેન્શન મળશે. સંગઠિત ક્ષેત્રના કર્મચારી પીએફ વગેરે દ્વારા ભવિષ્ય માટે કેટલીક રકમ જમા કરી લે છે પરંતુ અસંગઠિત ક્ષેત્રના લોકો માટે આ એક મોટો પડકાર છે. આ સ્કીમની સૌથી મોટી ખાસિયત એ છે કે પેન્શનધારકનું મૃત્યુ થયા બાદ તેની પત્ની અથવા પતિને લાભ મળતો રહે છે.