ગુજરાત અને દેશની રાજનીતિમાં ભૂકંપ લાવી દેનારા પૂર્વ સીએમ અને કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીનું શનિવારે વહેલી સવારે નિધન થયુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.

માધવસિંહ સોલંકીના સન્માનમાં રાજ્યમાં એક દિવસનો શોક
સીએમ રૂપાણીએ રાજ્યમાં માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો શોક પાળવાની જાહેરાત કરી છે. માધવસિંહ સોલંકીની અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવાનો નિર્ણય પણ રૂપાણીએ કર્યો છે. આ સાથે જ રૂપાણીએ આજના તેમના મહીસાગર જિલ્લાના કાર્યક્રમો રદ કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને આજે બપોરે 12 કલાકે રાજ્ય મંત્રી મંડળ ની બેઠક ગાંધીનગર ખાતે મળશે અને આ બેઠક માં સ્વ.માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપતો ઠરાવ પસાર કરવામાં આવશે.
ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે તેઓ રહી ચૂક્યા છે માધવસિંહ
જણાવી દઇએ કે કોંગ્રેસના પીઢ નેતા માધવસિંહ સોલંકીનું શનિવારે વહેલી સવારે નિધન થયુ છે. 94 વર્ષની વયે માધવસિંહ સોલંકીનું નિધન થયુ છે. ચાર વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે તેઓ રહી ચૂક્યા છે.

તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ ગુજરાતના સાતમાં મુખ્યમંત્રી હતા. માધવસિંહ સોલંકી કોંગ્રેસ પક્ષના નેતા અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી રહી ચૂક્યા છે. તેઓએ ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રીપદ સંભાળેલું. તેઓ “ખામ થિયરી” માટે જાણીતા થયા, જે વડે તેઓ ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવ્યા હતા.

માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતનાં મુખ્યમંત્રી રહ્યા છે. પહેલીવાર 1976માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ 24-12-1976થી 10-04-1977 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. 1980માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બન્યા બાદ ફરીવાર કોંગ્રેસ સત્તા પર આવી અને 7 જૂન, 1980નાં રોજ માધવસિંહ સોલંકી બીજીવાર મુખ્યમંત્રી બન્યા, જે 10 માર્ચ 1985 સુધી પદ પર રહ્યા હતા. ફરીવાર યોજાયેલી ચૂંટણીમાં વિજયી બની, 11 માર્ચ 1985માં માધવસિંહ સોલંકી ત્રીજીવાર મુખ્યમંત્રી રહ્યા હતા. બાદમાં તેમણે 6 જૂલાઈ 1985માં રાજીનામું આપવું પડ્યુ હતુ. ચોથીવાર 10 ડિસેમ્બર 1989થી 4 માર્ચ 1990 સુધી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી રહ્યા હતા.

કુલ 182 સભ્યોની ગુજરાત વિધાનસભામાં આજ સુધી કુલ સૌથી વધુ 149 બેઠક મેળવવાનો વિક્રમ નોંધાવનાર કોંગ્રેસીનેતા માધવસિંહ સોલંકીને પક્ષની યાદવાસ્થળીએ 1985માં ઘરભેગા કર્યા. ત્યારે તેના અનુગામી તરીકે આદિવાસી નેતા અમરસિંહ ચૌધરી આવ્યા પછીના મુખ્ય પ્રધાન નક્કી કોઈ દલિત જ હશે એવી ચર્ચા ચાલેલી. જો કે ફરી રાષ્ટ્રીય રાજકારણમાંથી પરત આવી થોડા દિવસની સુલતાન તરીકે માધવસિંહે સરકારની ધુરા સંભાળી અને કોંગ્રેસની નૈયાને એવી ડૂબાડી કે જૂના કોંગ્રેસી ચીમનભાઈ પટેલ અને જૂના જનસંઘી કેશુભાઈ પટેલની મિશ્ર સરકાર રચાઈ.

માધવસિંહ સોલંકીને એમના કાર્યકાળની મોટામાં મોટી ક્રૅડિટ આપવી હોય, તો એમણે દેશભરની શાળાઓમાં લાગુ કરાવેલી મધ્યાહ્ન ભોજન યોજના માટે આપી શકાય. માધવસિંહ સોલંકી ચાર વખત એટલે કે 1973-1975-1982-1985માં ગુજરાતના મુખ્ય મંત્રી હતા. ગુજરાત વિધાનસભામાં 182માંથી 149 બેઠકો જીતવાનો એમનો રેકર્ડ નરેન્દ્ર મોદી પણ તોડી નથી શક્યા.