દેશની રાજધાનીમાં ખેડૂત આંદોલન સતત પણે યથાવત રહ્યું છે. જ્યારે બીજી તરફ છેલ્લા 50થી વધુ દિવસોથી કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હી બોર્ડર આંદોલન ધમધમી રહ્યુ છે. ખેડૂતો કૃષિ કાયદા રદ કરવાની માંગ પર અડગ છે. એટલું જ નહીં, 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં ખેડૂતો કિસાન પરેડ યોજવા મક્કમ છે ત્યારે ગુજરાતમાંથી ય 100થી વધુ ટ્રેકટરો લઇને ખેડૂતો દિલ્હીમાં કિસાન પરેડમાં જોડાવવા તૈયારીઓ કરી રહ્યાં છે જેના પગલે સરકાર-પોલીસની ઉંઘ ઉડી ગઇ છે.

ગુજરાતમાંથી ય 100થી વધુ ટ્રેકટરો લઇને ખેડૂતો દિલ્હીમાં કિસાન પરેડમાં જોડાવવા તૈયાર
કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે ગુજરાતના ખેડૂતો ય દિલ્હીમાં ચાલી રહેલાં આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. એટલુ જ નહીં, ગુજરાતના 1 હજારથી વધુ ખેડૂતો દિલ્હી બોર્ડર જઇ આંદોલનમાં સામેલ પણ થયાં છે. આ ઉપરાંત રાજકોટ અને દક્ષિણ ગુજરાતમાં પણ ખેડૂત સંમેલન યોજવા આયોજન કરાયુ છે. ચારેક દિવસ પહેલાં જ ખેડૂત સંમેલનને લઇને કેટલાંક ખેડૂત નેતાઓની રાજકોટ પોલીસે અટકાયત પણ કરી હતી.

ખેડૂત નેતાઓની રાજકોટ પોલીસે અટકાયત પણ કરી
ગુજરાત સામાજિક મંચના નેજા હેઠળ ગુજરાતના ખેડૂતો દિલ્હી કિસાન પરેડમાં ભાગ લેશે. ત્રણ કૃષિ કાયદા રદ કરવાની માંગ સાથે ચાલી રહેલાં આંદોલનને ગુજરાત સામાજિક મંચે ટેકો આપ્યો છે. સંસ્થાના આગેવાનોનું કહેવુ છેકે, ખેડૂતો ઉપરાંત જુદા જુદા સામાજીક સંગઠનો, માલધારી,આદિવાસી,અનુ.જાતિના લોકો દિલ્હી જશે.

ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાંથી કુલ મળીને 600થી વધુ લોકો 100 ટ્રેકટરો સાથે કિસાન પરેડમાં ભાગ લેશે. અત્યારે તો પોલીસે પણ આંદોલનકારી ખેડૂતો ઉપરાંત સામાજીક સંગઠનો પર નજર રાખી છે. ચૂંટણી વખતે જ ખેડૂતોનુ આંદોલન વેગવાન બને તેવા એંધાણ વર્તાઇ રહયાં છે ત્યારે પોલીસ-સરકાર ચિંતિત બની છે.